ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર-આયુર્વેદના અનેક પુસ્તકો પ્રકાશિત કરનાર ટંકારાના આચાર્ય દયાળજી મુનિને કલેક્ટરના હસ્તે પદ્મશ્રી એવોર્ડ અર્પણ
SHARE
ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર-આયુર્વેદના અનેક પુસ્તકો પ્રકાશિત કરનાર ટંકારાના આચાર્ય દયાળજી મુનિને કલેક્ટરના હસ્તે પદ્મશ્રી એવોર્ડ અર્પણ
ભારતમાં જુદા જુદા ક્ષેત્રની અંદર સારી કામગીરી કરનારા લોકોને પદ્મશ્રી આપીને ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં રહેતા આચાર્ય દયાળજી મુનિને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી આપવાની જાહેરાત ગત જાન્યુઆરી માહિનામાં જાહેરાત કરવામાં આવી હતી અને ત્યાર બાદ તાજેતરમાં એવોર્ડ સેરેમની યોજાઇ હતી જો કે, ત્યારે આચાર્ય દયાળજી મુનિ નાદુરસ્ત તબિયતના લીધે ગયેલ ન હતા જેથી કરીને મોરબી જિલ્લા કલેક્ટર, એસપી અને ડીડીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં કલેક્ટરના હસ્તે આચાર્ય દયાળજી મુનિને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કરેલ હતો
ટંકારાના આર્થિક સાધારણ માવજીભાઈ દરજીને ત્યાં તા.૨૮/૧૨/૧૯૩૪ ના રોજ જન્મેલા દયાળજી એ પ્રાથમિક શિક્ષણ સ્થાનિકે લીધા બાદ સમય જતા ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર,શિક્ષક, શોધકર્તા,લેખક, સંપાદક, અનુવાદક,સમાજ સુધારક સહિતની અનેક ફરજો બજાવ્યા બાદ છેલ્લે જામનગર આયુર્વેદિક કોલેજમાંથી પ્રોફેસર તરીકે વય નિવૃત થયેલા દયાળજીભાઈ પરમાર ફરી ટંકારામા સ્થાયી થયા હતા.તેમણે આર્યસમાજ સંસ્થામા મંત્રી પદે જોડાઈને સંસ્કાર સાથે જીવન ઘડતર કરવાનુ કામ કરવા સાથે આર્ય સમાજના આયુર્વેદિક ચિકિત્સાલયમા વર્ષો સુધી ડોક્ટર તરીકે નિઃશુલ્ક સેવા આપી હતી. ૯૦ વર્ષ ની જૈફ વયના દયાળમુનીએ અત્યાર સુધીમા આતુર પરીક્ષા,વિધોદય,કાય ચિકિત્સા ભાગ ૧ થી ૪, શલ્ય વિજ્ઞાન ભાગ ૧-૨,શાલક્ય વિજ્ઞાનના ભાગ ૧ અને ભાગ ૨, સ્વસ્થ વૃત ભાગ ૧-૨, રોગ વિજ્ઞાન સહિતના આયુર્વેદ વિશ્ર્વ વિધાલય દ્વારા માન્યતા પ્રાપ્ત આઠ જેટલા પુસ્તકો લખી તૈયાર કરેલ છે અને ચારેય વેદોના ૨૦૩૯૭ મંત્રો સહિત ૭૦૮૪ પાનાના પુસ્તકોનો સંસ્કૃતમાથી સરળ ગુજરાતી ભાષામા અનુવાદ તૈયાર કરવાનુ ભગીરથ કાર્ય કર્યું છે.
આજ સુધીમાં તેઓને અનેક પુરસ્કાર અને સન્માન મળેલ છે જેમા વર્ષ ૨૦૦૮ ગુજરાત સરકાર તરફથી રાજ્યપાલ નવલકિશોર શર્માના હસ્તે આયુર્વેદ ચુડામણી પુરસ્કાર, વર્ષ ૨૦૦૯ રાજકોટ ખાતે યોજાયેલ આયુર્વેદના રાષ્ટ્રીય સંમેલનમા લાઉફટાઈમ અચિવમેંટ પુરસ્કાર,વર્ષ ૨૦૧૦ મુંબઈ આર્ય સમાજ દ્વારા આર્ય કર્મયોગી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા, વર્ષ ૨૦૧૧ ઈન્ટરનેશનલ આયુર્વેદિક સંગઠન દ્વારા સન્માનિત કરાયા અને વર્ષ ૨૦૧૩ વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ દ્વારા સન્માનિત કરાયા અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા વર્ષોમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું છે આટલું જ નહીં પરંતુ હવે ભારત સરકારનું સર્વોચ્ચ સન્માન એટલે કે પદ્મશ્રી એવોર્ડ તેઓને મળવા જઈ રહ્યો છે ત્યારે તેઓએ પોતાની જિંદગી જે સાહિત્યના નિર્માણ પાછળ ખરતી હતી તે સાર્થક નીવડી હોય તેવો ભાવ તેવો વ્યક્ત કરી રહ્યા છે અને આ બધું ઈશ્વરની કૃપાથી તેમને મળી રહેવું છે તેવી પણ લાગણી તેમને વ્યક્ત કરી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, જીવનની સંધ્યાએ પહોંચેલા ૯૦ વર્ષીય ડો.દયાળમુનિએ સતત વર્ષ સુધી દરરોજ ૧૦ કલાક કામ કરી ચાર વેદના ૨૦,૫૦૦થી વધુ શ્લોકોના ૭.૬૮ લાખથી વધુ સંસ્કૃત શબ્દોનો સામાન્ય નાગરિક પણ સમજી શકે તેવી સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ કર્યો છે. તેઓએ અનુવાદના આઠ ભાગ તૈયાર કર્યા છે મૂળ ટંકારાના સામાન્ય દરજી પરિવારમાં જન્મેલા દયાળજી માવજી પરમાર નામના છાત્રને ટંકારામાં દયાનંદ સરસ્વતીના આર્ય વિચારો પ્રત્યે લગાવ હોવાથી આર્યસમાજમાં જોડાયા હતા સંસ્કૃત શીખવા માટે તેલના દીવાના અજવાળે મધરાત સુધી જાગી તેઓ આર્યભાષામાં પારંગત બન્યા હતા ૧૫ વર્ષની ઉંમરથી તેઓને વાંચનની ભૂખ એવી જાગી કે તેઓ ભોજન કરવાનું પણ ભૂલી જતા હતા. આજે ૯૦ વર્ષની જૈફવયે પહોંચેલા દયાળજીભાઇએ પોતાના ઘરમાં વસાવેલી લાઇબ્રેરીમાં અલભ્ય પુસ્તોકોનો ભંડાર ભર્યો છે. ૫૪ પુસ્તકો લખનાર ડો.દયાળમુનિએ માત્ર ૨૦ વર્ષની ઉંમરે મહાભારતથી લઇ મહર્ષિ દયાનંદ સરસ્વતી સુધીના સમયમાં થયેલા ધાર્મિક આંદોલન વિશેનું પુસ્તક મહાભારતથી લઇને મહર્ષિ દયાનંદ તૈયાર કરી સ્વખર્ચે પ્રકાશિત પણ કર્યું હતું.
સામાન્ય રીતે જીવનમાં કોઈપણ વ્યક્તિએ કરેલા સારા કામોની નોંધ લઈને સમયાંતરે તેઓ ને સન્માનિત કરવામાં આવતા જ હોય છે અને ભગવત ગીતામાં પણ કહ્યું છે કે કરેલું ક્યારેય અફળ જતું નથી આ વાતને સાર્થક કરતા આચાર્ય દયાળજી મુનીને અત્યાર સુધી અનેક સન્માનો મળેલા હતા જોકે ભારત સરકાર દ્વારા પણ તેમણે સાહિત્ય અને આયુર્વેદ ક્ષેત્રે કરેલી કામગીરીની નોંધ લઈને ગત જાન્યુઆરી માહિનામાં પદ્મશ્રી એવોર્ડ આપવાનો જાહેરાત કરી હતી અને ગત તા ૯/૫/૨૪ ના રોજ જ્યારે પદ્મશ્રી એવોર્ડ આપવા માટેનો સેરેમની કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નાદુરસ્ત તબિયતના લીધે તે ગયા ન હતા જેથી કરીને મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી અને ડીડીઓ જે.એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ તેઓના ઘરે તા ૩૧/૫/૨૪ ના રોજ પહોચ્યા હતા અને ત્યારે કલેક્ટર કે.બી. ઝવેરીના હસ્તે આચાર્ય દયાળજી મુનિને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરીને સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યારે ગામના આગેવાનો સહિતના લોકોને ટંકારાના અધિકારીઓએ હાજર રહ્યા હતા