વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી
SHARE
વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે અને તેમાં વોર્ડ નંબર 4 ની અંદર કુલ પાંચ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે જેમાં ચાર કોંગ્રેસના અને એક અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે જો કો, વોર્ડ નંબર ચાર ની અંદર ભાજપમાંથી એક પણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી ત્યારે આ વોર્ડની અંદર ત્રણ બેઠકો કોંગ્રેસ માટે બિનહરીફ થઈ જશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે
વાંકાનેર નગરપાલિકા વિસ્તાર વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે અને નગરપાલિકામાં સત્તા ભાજપની જ આવતી હોય છે જોકે વાંકાનેર નગરપાલિકાની આગામી 26 તારીખે ચૂંટણી યોજવાની છે અને તેના માટે ઉમેદવારી પત્રો ભરવાનો શનિવાર તા. 11 ના રોજ છેલ્લો દિવસ હતો ત્યારે વાંકાનેર નગરપાલિકાના કુલ સાત વોર્ડની 28 બેઠક માટે થઈને ઉમેદવારો દ્વારા ઉત્સાહપૂર્વક પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને ખાસ કરીને વોર્ડ નંબર ચાર ની અંદર માત્ર પાંચ જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેથી આ વોર્ડની અંદર ત્રણ બેઠકો બિનહરીફ થઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
અત્રે ઉલ્લેખીએ છે કે વર્ષોથી વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર ચારની અંદર ભાજપ દ્વારા ક્યારે પણ પોતાના ઉમેદવારો ઊભા રાખવામાં આવતા નથી અને બસપા ની સાથે સંકલન કરીને વોર્ડ નંબર ચાર ની અંદર બસપાના ચાર ઉમેદવારો લડે અને બાકીના વોર્ડની અંદર ભાજપના ઉમેદવારો ચુંટણી લડે અને નગરપાલિકા ભાજપની બનતી હોય છે જોકે આ વખતે બસપા સાથે સંકલન કર્યુ નથી અને ભાજપ દ્વારા વોર્ડ નંબર ચાર ની અંદર એક પણ ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો નથી જોકે કોંગ્રેસ તરફથી આ વોર્ડમાં અફસાનાબેન ઈરફાનભાઇ પીપરવાડિયા, એકતાબેન હસમુખભાઈ ઝાલા, મોહમ્મદભાઈ રહેમાનભાઇ રાઠોડ અને અશરફભાઈ અનવરભાઈ ચૌહાણ તેમજ અપક્ષમાંથી ઝાકીરહુસેન મોહમ્મદહનીફ મેસાણીયા એ ઉમેદવારી પત્ર ભર્યું છે આમ ચાર બેઠકો માટે માત્ર પાંચ જ ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે જેથી કરીને આ વોર્ડની ત્રણ બેઠકો કોંગ્રેસને બિન હરીફ થાય તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે જો કે ફોર્મની ચકાસણી દરમિયાન કોઈ ફોર્મની અંદર ક્ષતિ જોવા મળે તો ફોર્મ રદ થાય એવી પણ શક્યતાઓને નકારી શકાતી નથી.