મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ
SHARE
મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ
મોરબીમાં હોટલના ધંધાથીએ વ્યાજે જુદાજુદા લોકો પાસેથી રૂપિયા લીધેલ હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેના કરતા અનેક ગણું વધારે વ્યાજ અને રૂપિયા ચૂકવી આપેલ હતા. છતાં પણ તેની પાસેથી મૂડી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ધમકીઓ દેવામાં આવતી હતી જેથી હોટલના ધંધાર્થીએ આપઘાત કરી દીધો હતો. જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ સાત શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર વાળી શેરીમાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા નીરવભાઈ અશ્વિનભાઈ બોપલિયા (૩૪) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા ઇમરાન ગુલામભાઈ માડકિયા રહે.મોરબી, અજય ભટ્ટ રહે. વાઘપરા, ગીરીરાજસિંહ ગોહિલ રહે.રાજકોટ , ભરત રબારી રહે.થોરાળા, અજીતભાઈ જેસંગભાઈ રાઠોડ રહે. ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી, વિપુલ જેસંગભાઈ રાઠોડ રહે.નવલખી રોડ મોરબી તથા કિશનભાઇ રબારી રહે.મકનસર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (૫૦) એ સાતેય શખ્સો પાસેથી સમયાંતરે રૂપિયાની જરૂર હતી ત્યારે વ્યાજે રૂપિયા લીધેલ હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેનાથી વધુ રૂપિયા પાછા આપી દીધા હતા છતાં પણ તેની પાસેથી રૂપિયા અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ધમકીઓ આપવામાં આવતી હતી જેનાથી કંટાળીને ફરિયાદીના પિતાએ આપઘાત કરી લીધેલ હતો. આ ગુનામાં પોલીસે અગાઉ કિશનભાઇ મનુભાઈ રાઠોડ, લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણંદાભાઇ રાઠોડ, ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, અજીત જેસંગભાઈ રાઠોડ તેમજ વિપુલ જેસંગભાઈ રાઠોડની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.વી.ઝાલા અને તેની ટીમે આરોપી ઇમરાન ઉર્ફે ઢબો ગુલામહુસેનભાઈ માડકિયા (43) રહે. જવેરી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લીધા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબી જેલ હવાલે કરેલ છે.