સેખચિલીઓનો કાન આમળતા સિનયર સીટીઝન: મોરબીમાં ટ્રાફિક સિગ્નલ પછી મુકજો પહેલા દબાણો હટાવો
SHARE
સેખચિલીઓનો કાન આમળતા સિનયર સીટીઝન: મોરબીમાં ટ્રાફિક સિગ્નલ પછી મુકજો પહેલા દબાણો હટાવો
મોરબી શહેરની મુખ્ય સમસ્યા હોય તો તે સમસ્યા છે ટ્રાફિક સમસ્યા અને તે ઉપરાંત ગંદકી અને રોડ સાઇડમાં પડી રહેતી ધૂળ પણ સમસ્યા છે. કારણ કે જ્યારે પણ રાત્રી સફાઈ કરવામાં આવે છે ત્યારે પાલિકાના કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા ધૂળ પાડવામાં આવતી નથી માત્ર મોટો મોટો કચરો ભરી લેવામાં આવે છે અને ધુળને રોડની સાઈડમાં ધકેલી દેવામાં આવે છે..! જ્યારે મુખ્ય બજારના દુકાનદારો પોતાની દુકાનો સવારે ખોલે ત્યારે તે પોતાની સાઈડમાં પડેલી ધૂળને પુનઃ રોડ ઉપર ધકેલી દે છે અને તે ધુળ આખો દિવસ રોડ ઉપર રહે છે એટલે કે ગામના વેપારીઓ કે પાલિકાના જવાબદાર અધિકારી-કર્મચારીઓ દ્વારા રોડ સાઇડની ધુળ ભરી લેવી જોઈએ તેને ભરી લેવાને બદલે એક તરફથી બીજી તરફ અને બીજી તરફથી પુન: રોડ ઉપર આમ ફેંકવામાં આવે છે જેના લીધે સતત રોડ ઉપર ધૂળમય વાતાવરણ રહે છે.તે સમસ્યાને પણ નકારી શકાય તેમ નથી.
પરંતુ થોડા દિવસો પહેલા મંત્રીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં રોડ ઉપર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સિગ્નલો મુકવા માટે વાતચીત કરવામાં આવી હતી જેને અનુલક્ષીને અહીંના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા માંગ કરવામાં આવી છે કે શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સિગ્નલ ચોક્કસ મુકજો પરંતુ તેના પહેલા રોડ ઉપર જે ઓટલા, લારી-ગલ્લા અને પાથરણા સહીતના દબાણો તેમજ જે કોઇ અન્ય દબાણો છે તે દબાણોને ખુલ્લા કરીને માર્ગને ખરેખર પહોળા કરવામાં આવે તેમજ મુખ્ય માર્ગો ઉપરના દુકાનદારોએ પોતાનો માલ સામાન દુકાનની બહાર પ્રદર્શનમાં મૂકતા હોય છે તેને પણ બંધ કરાવવામાં આવે અને રોડ પહોળા કર્યા બાદ જો ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવે તે લોકોના હિતમાં રહેશે.
મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક સિગ્નલ મુકવાની વાત તાજેતરમાં સ્થાનીક મંત્રી સાથેની બેઠકમાં કરવામાં આવી હતી તે માંગમાં સુર પુરાવતા અહિંના સીનીયર સીટીઝન કાઉન્સિલ પ્રમુખ પ્રમુખ ડો.બી.કે.લહેરૂ અને મંત્રી મહેશભાઈ ભટ્ટે પહેલા રોડ ઉપર ખડકાયેલા દબાણોને હટાવીને રોડ-રસ્તા પહોળા કરવામાં આવે તેવી માંગ કરેલ છે.વધુમાં તેઓએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ટ્રાફિક સિગ્નલ મુકવા વિચારણા ચાલી રહી છે તે આવકાર્ય છે પરંતુ ભુતકાળમાં નગરપાલિકા દ્રારા મુકવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ યોજનાનું બાળમરણ થઇ ગયુ હતુ તે યાદ કરાવીને પહેલા મોરબી સીટીના તમામ રસ્તાઓ ઉપર કે લોકોને ચાલવા બનાવાયેલ ફૂટપાથ ઉપર જે કેબીન કે લારીઓ ખડકાઇ ગયેલ છે તે તમામ દબાણોને દુર કરીને જ્યાં પણ ત્રણ કે ચાર રસ્તા ભેગા થતા હોય છે કે જયાં કાયમી ધોરણે ટ્રાફિકજામ થતો હોય છે તે વિસ્તારમાં જગ્યા સંપાદન કરીને રસ્તો પહોળો કરવામાં આવે અને દબાણો હટાવ્યા બાદ જો ટ્રાફિક સિગ્નલ મુકવા આવે તો તે અસરકારક રહેશે તેમ જણાવવામાં આવેલ છે.