મોરબીમાં નજીવી વાતે પથ્થરમારો કરી, ધોકા વડે માર મારી ઘર-બાઈકમાં પણ કરી તોડફોડ
SHARE
મોરબીમાં નજીવી વાતે પથ્થરમારો કરી, ધોકા વડે માર મારી ઘર-બાઈકમાં પણ કરી તોડફોડ
મોરબીના રેલ્વે સ્ટેશન સામે આવેલી રેલ્વે કોલોનીમાં છુટો પથ્થરમારો કરીને ધોકા વડે માર મારવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં નણંદ-ભોજાઈ વાત કરતી હોય સામેના વૃદ્ધાને લાગ્યું કે તેઓની વાત થઇ રહી છે તે વાતને લઇને પહેલા મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં વૃદ્ધાના પુત્ર સહિત બે શખ્સોએ મહિલાના ઘેર જઈને ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો અને છૂટા પથ્થરમારો કરતાં મહિલાની આઠ વર્ષની બાળકીને કપાળના ભાગે ઈજા પહોંચી હતી.તેમ જ લાકડાના ધોકા વડે માર મારીને ઘરવખરીમાં અને મોટર સાયકલમાં નુકશાન કરવામાં આવેલ હોય ભોગ બનેલી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન અને ધક્કાવાળી મેલડી માતાના મંદિરની સામે આવેલી ન્યુ રેલવે કોલોની વિસ્તારમાં રહેતા ગીતાબેન રાજેશભાઈ ટોયટા જાતે ભરવાડ નામની ૩૨ વર્ષીય મહિલાએ ત્યાં જ રહેતા અનિલ પ્રવીણ કલોતરા અને કિશન બાવજીભાઇ નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓ તેમનાં નણંદની સાથે ગઇકાલે બપોરે વાત કરતા હતા ત્યારે સામાવાળા અનિલભાઈના માતા રમાબેનને લાગ્યું કે તેઓ તેમની વાત કરે છે માટે "મારી વાતો કેમ કરો છો..?" તેમ કહીને રમાબેન દ્રારા ઝઘડો કરવામાં આવ્યો હતો.આ ઝઘડાનો રોષ રાખીને અનિલ કલોતરા અને તેના મળતિયા કિશન બાવજીએ એકસંપ કરી તેઓના ઘેર આવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો અને તેઓ પાસે રહેલા લાકડાના ધોકા વડે ગીતાબેનને માર માર્યો હતો તેમજ છુટા પથ્થરોના ઘા કર્યા હતા.જેમાં તેઓની દિકરી લક્ષ્મીબેન (ઉંમર ૮) ને કપાળના ભાગે ઇજાઓ પહોંચી હતી અને જતાજતા ધમકી આપીને ઘરવખરીમાં નુકશાન કર્યા બાદ બહાર પડેલા મોટર સાયકલમાં પણ તેઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.હાલમાં ગીતાબેન ભરવાડની ફરિયાદ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ અનિલ કલોતરા અને કિશન બાવજીભાઇ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના જેલ ચોકની સામેના વિસ્તારમાં રહેતા પારૂલબેન મૂળજીભાઈ મકવાણા નામની મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે એલ.ઇ.કોલેજ નજીક બાઉકના પાછળના ભાગેથી પડી જતા ઈજાગ્રસ્ત પારીલબેનનને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામે રહેતો અજય શામજીભાઈ દાફડા નામનો ૧૫ વર્ષીય સગીર મોરબીના મકનસર ગામે હનુમાન મંદિર નજીકથી બાઇકમાં જતો હતો ત્યારે બાઇક સાથે બાઈક અથડામણનો બનાવ સર્જાતાં અકસ્માત બનાવમાં ઇજાગ્રત થયેલા અજય દાફડાને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના રફાળેશ્વર રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં મોરબીની લીલાપર ચોકડી નજીક રહેતા દિવ્યમ ભરતભાઈ પ્રસાદ નામના ૪૫ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલે લવાયો હતો.