મોરબીના કબીર આશ્રમ સામે કથાના ગ્રાઉન્ડનો બનાવ: પ્લગમાં ચાર્જર લાગવતા શોર્ટ લાગવાથી યુવાનનું મોત
મોરબીમાં મકાનની દિવાલ બનાવવા સમયે થયેલ ઝગડાની જૂની અદાવતમાં યુવાન ઉપર છરી-પાઇપ વડે હુમલો
SHARE
મોરબીમાં મકાનની દિવાલ બનાવવા સમયે થયેલ ઝગડાની જૂની અદાવતમાં યુવાન ઉપર છરી-પાઇપ વડે હુમલો
મોરબીના રવાપર રોડ ઉપર આવેલા કાલિકા પ્લોટ વિસ્તારમાં પરસોતમ ચોક નજીક આવેલ સતવારા બોર્ડિંગ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.બાદમાં યુવાને બે શખ્સોની સામે છરી અને પાઇપ વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવાતા હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ પરસોતમ ચોક સતવારા બોર્ડિંગ નજીક રહેતા સંજય પ્રેમજીભાઈ ચૌહાણ નામના ૨૩ વર્ષના ભીલ યુવાનને તેના રહેણાંક મકાન પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.ત્યાં સંજય ચૌહાણની સારવાર કરવામાં આવ્યા બાદ સિવિલ દ્રારા પોલીસમાં જાણ કરાતા પ્રથમ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી.જેમાં મારામારીના બનાવમાં ભોગ બનેલ સંજય ઉર્ફે સલો પ્રેમજીભાઇ ચૌહાણ જાતે ભીલ (૨૩) રહે.પરસોતમ ચોક સતવારા બોર્ડિંગ પાસે વાળાએ મારામારી કરનાર સામેવાળા સુરેશ સવજીભાઇ કોળી રહે.કાલીકા પ્લોટ મોરબી અને ટીના બાબુભાઈ કોળી રહે.સુરેન્દ્રનગર વાળાઓની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સતવારા બોર્ડિંગ પાસેથી પોતે જતો હતો ત્યારે સામેવાળા સુરેશ કોળીએ ચારેક માસ પહેલા મકાનની દિવાલ બનાવવા બાબતે થયેલી જૂની બોલાચાલીનો રોષ રાખીને તેને અટકાવ્યો હતો અને બાદમાં તેના હાથમાં રહેલ છરીની મૂઠનો ભાગ તેણે સંજય ચૌહાણના માથાના ભાગે માર્યો હતો.તેમજ તેની સાથે રહેલ ટીના કોળીએ સંજય ચૌહાણને પગના ભાગે લોખંડનો પાઇપ ફટકાર્યો હતો.તેમજ બંનેએ ફરિયાદી સંજય ચૌહાણ અને સાહેદોને ગાળો આપી હતી.જેથી હાલ સંજય પ્રેમજીભાઇ ચૌહાણની ઉપરોકત ફરિયાદ ઉપરથી એસસીએસટી સેલના ઇન્ચાર્જ ડીવાયએસપી પી.એ.ઝાલા દ્વારા સુરેશ સવજી કોળી અને ટીના બાબુ કોળી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૫, ૫૦૪, ૩૪૧, ૧૧૪ અને એટ્રોસિટી એકટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા અશોકભાઇ મહાદેવભાઈ સાદરીયા નામના ૪૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોવાથી હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવતા ખુલ્યું હતું કે,મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ખોડીયાર પાન પાસે થયેલ મારામારીના બનાવમાં અશોક મહાદેવભાઈ સાદરીયા નામના યુવાનને ઇજા પહોંચતા તેને સારવારમાં ખસેડાયો છે.
ઈલેક્ટ્રીક શોટ લાગતા બે સારવારમાં
મોરબી તાલુકાના બાદનપર ગામે રહેતા મીનાબેન કિશનભાઇ ભુરીયા (૩૫) તેમજ દક્ષાબેન કિશનભાઇ ભુરીયા (૧૬) નામના બે મહિલાઓને બાદનપર ગામે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી કરીને બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા જે તે સમયે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.