મોરબીના અધિકારીઓને માત્ર રવાપર ચોકડી પાસે જ ટ્રાફિક સમસ્યા દેખાઈ ! વધુ એક જાહેરનામું
SHARE
મોરબીના અધિકારીઓને માત્ર રવાપર ચોકડી પાસે જ ટ્રાફિક સમસ્યા દેખાઈ ! વધુ એક જાહેરનામું
મોરબીના નગર દરવાજા ચોક, પરાબજાર, શનાળા રોડ, રવાપર રોડ, ગાંધી ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ ઉપર ટ્રાફિકની જે અંધાધૂંધી છે તેની સામે આંખ આડા કાન કરીને અહીના અધિકારીઓને માત્રને માત્ર રવાપર ચોકડી પાસે જ ટ્રાફિક સમસ્યા દેખાઈ છે એટલા જ માટે તો વધુ એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ તથા ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડને કલેકટર જી.ટી.પંડયા દ્વારા વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ વન-વે રહેશે. જ્યારે લીલાપર તરફથી આવતા વાહનો શ્યામ ગ્લાસ વેર. એસ.પી રોડના નાકે થી રવાપર ચોકડી થી નિર્મલ સ્કુલ થઇ ઉમિયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહેશે. અને ઉમિયા સર્કલ થી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડ રૂટ વન-વે રહેશે. જ્યારે ઉમિયા સર્કલ થી લીલાપર રોડ તરફ જવા માટે ઉમિયા સર્કલ થી અવની ચોકડી થી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે. આ જાહેરનામું ૧૧-૧૧-૨૦૨૩ થી ૧૦-૧૨-૨૦૨૩ સુધી સવારના ૦૭.૦૦ કલાક થી રાત્રીના ૨૨.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે જો કે, શહેરના હાર્દ સમાન જે વિસ્તારો છે ત્યાં ખડકાયેલા દબાણોને દૂર કરીને ત્યાં પાછા કોઈ પણ પ્રકારના દબાણ ન કરવામાં આવે તેના માટેનું લોકો હિતાર્થે જાહેરનામું કયારે પ્રસિધ્ધ કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે કેમ કે પાલિકાની હદની બહારના ભાગની ટ્રાફિક સમસ્યા જો અધિકારીને દેખાતી હોય તો પાલિકા હદમાં જે મુખ્ય માર્ગ અને રસ્તા ઉપર ટ્રાફિકની પીડા છે તે કેમ દેખાતી નથી અથવા તો કોના લાભાર્થે તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે









