મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવા માટે મંત્રીને ભાજપના આગેવાનની રજૂઆત
SHARE









મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવા માટે મંત્રીને ભાજપના આગેવાનની રજૂઆત
મોરબી નગરપાલિકાના વિસ્તારને મહા નગરપાલિકામાં તબદીલ કરવા માટેની માંગ છેલ્લા ઘણા વર્ષોથી કારીવામાં આવી રહી છે ત્યારે વિજયશ્રી સંસ્થાના પ્રમુખ અને ભાજપ અગ્રણી દ્વારા મોરબીને મહા નગરપાલિકાનો દરજ્જો આપવા માટેની માંગણી કરવામાં આવી છે અને મોરબીના માધાપર, વજેપર, શનાળા, રવાપર, નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, લાલપર સહિતના ગામોનો સમાવેશ કરીને મહા નગરપાલિકા તરીકે મોરબીને દરજ્જો આપવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થશે તેવી લાગણી પણ વ્યક્ત કરેલ છે
મોરબી નગરપાલિકાના વિસ્તારને મહા નગરપાલિકામાં તબદીલ કરવા માટેની માંગણી આ અગાઉ પણ મોરબી શહેરના લોકો દ્વારા કરવામાં આવેલ છે. જો કે હજુ સુધી મહા નગરપાલિકા માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારે મોરબી શહેરની તથા સૂચિત એરિયામાં હાલની ઉપલબ્ધ સગવડોની માહિતી રાજ્યના મંત્રી અને મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ વિજય લોખીલ દ્વારા આપવામાં આવી છે
મોરબી નગરપાલિકા “અ” વર્ગની નગરપાલિકા ૨૦૦૧ થી છે અને મોરબી જિલ્લો ૨૦૧૩ થી અમલમાં આવી ગયો છે અને હવે લોકોની સુવિધામાં વધારો કરવા માટે મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો અપાવવાની તાતી જરૂરીયાત છે. આજની તારીખે મોરબીમાં ૩ લાખથી વધુ વસ્તી છે અને મોરબી શહેર તથા આજુબાજુના ૧૫ થી વધુ ગામોનો બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ થયેલ છે. અને ગામડાના લોકો તેમજ બહારથી આવેલા લોકોની ગણતરી કરવામાં આવે તો મોરબીમાં આશરે ૪ લાખથી વધુ વસ્તી વસવાટ કરે છે. જે મહાપાલિકાના ક્રાઇટ એરિયા ધરાવે છે. મોરબી શહેરના મધ્યચોકમાં મોરબીની સિવિલ હોસ્પિટલ – ગાંધીચોક એટલે કે મોરબી શહેરની મધ્યમાં આવેલ છે. અને પૂર્ણ કક્ષાની આંખની હોસ્પિટલ પણ રાજ્ય સરકાર તરફથી અલગ દરજ્જાથી ફાળવેલ છે. સાથો-સાથ રાજ્ય સરકારે કોર્પોરેશન એરિયામાં હોય, તે પ્રકારની બ્લડ બેંકની સુવિધા પણ ફાળવેલ છે. “આમ તબક્કે તબક્કે રાજ્ય સરકાર તરફથી મોરબી શહેરને મહાપાલિકા સમકક્ષ જુદી-જુદી આરોગ્ય વિષયક સુવિધાઓ ભૂતકાળમાં પૂરી પાડેલ છે.
મોરબી શહેરમાં તથા નગરપાલિકા વિસ્તારમાં સરકારી સુવિધાઓ પણ, જેવી કે મોટા-મોટા સરકારી બિલ્ડીંગો તથા સુવિધાજનક આવાસો તથા જિલ્લા સેવાસદન, તાલુકા સેવાસદન તેમજ જિલ્લા પંચાયત તથા સરકારી રહેણાંક વસાહતો તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરી તેના આવાસો તેમજ અન્ય સરકારી કચેરીઓના બિલ્ડીંગો, આવાસો અને કોર્પોરેશન માટે ભવિષ્યમાં તેની ઓફિસ, અધિકારીઓના રહેણાંક વિસ્તાર માટે સરકારી જમીનો વગેરે મોટા પાયે ઉપલબ્ધ છે. જે બધી નગરપાલિકા એરિયામાં સમાવિષ્ટ જમીનો છે. જો કોર્પોરેશનની રચના થાય, તો કોર્પોરેશનના વિકાસ માટે પણ જે જે અનુસાંગીક સુવિધાઓ જરૂરી છે. તે ખૂબ જ સહેલાઈથી ઉપલબ્ધ છે.
શહેરી વિસ્તાર તથા નગરપાલિકા એરિયામાં અંદાજે દોઢ લાખથી વધારે વાહનોનું રજીસ્ટ્રેશન થયા હોવાનું ગયા વર્ષના સરકારી આંકડામાં દર્શાવામાં આવેલ છે. માધાપર, વજેપર અને ત્રાજપરના મવડા અંગેના જૂના પેચીદા પ્રશ્નને મવડા રદ્દ થતાં થયેલ લાંબા ગાળાના રહેણાક નુકશાનને હલ કરવામાં પણ કોર્પોરેશન જાહેર થતાં લાભ મળે તેમ છે. મોરબી શહેર મધ્યમાંથી મચ્છુ નદી પસાર થાય છે. આ નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની જરૂર છે. કેમકે મોરબીમાં નાના બાળકો માટે કોઈ બાગ-બગીચાઓ નથી. તો રિવરફ્રન્ટ બનાવવાથી ત્યાં બાગ-બગીચાઓ બનાવી શકાય. મોરબીમાં ટ્રાફિક સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોય, મોરબી શહેરના જેલરોડ થી ગાંધી સોસાયટી, ભડિયાદ સુધીનો બ્રિજ(પુલ) બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે તેવું વિજયભાઈ લોખીલએ જણાવ્યુ છે
