મોરબી જિલ્લામાં આયુષ્યમાન ભવ: કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા
નાના ખેડૂતોને દબાવી જમીન પર દબાણ કરતાં અસામાજિક તત્વોને બક્ષવામાં નહીં આવે: પ્રફુલભાઈ પાનશેરીયા
SHARE
નાના ખેડૂતોને દબાવી જમીન પર દબાણ કરતાં અસામાજિક તત્વોને બક્ષવામાં નહીં આવે: પ્રફુલભાઈ પાનશેરીયા
મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા સંકલન તેમજ આયોજનની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી જેમાં મંત્રીએ આયોજન હેઠળના વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ ના વિવિધ કામોની સમીક્ષા કરી હતી. અને મંત્રીએ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, શક્ય હોય ત્યાં સુધી કોઈ કામ આગળ ન ખેંચાય તેની તકેદારી રાખે અને આગળ ખેંચેલા કામ સત્વરે પૂરા કરે. આ ઉપરાંત કોઈ કામ બદલવાની જરૂર પડે તો સત્વરે સક્ષમ અધિકારીની મંજૂરીથી કામ બદલી નાખે. મંત્રીએ પ્રગતિ હેઠળના, પૂર્ણ થયેલા તેમજ શરૂ ન થયેલા કામોની સમીક્ષા કરી જણાવ્યું હતું કે, સરકારની કોઈપણ ગ્રાન્ટ પેન્ડિંગ ન રહે તેની અધિકારીઓ ખાસ તકેદારી રાખે.
મોરબી જિલ્લામાં ખેડૂતોની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો બાબતે મંત્રીએ જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિ કરી નાના ખેડૂતોને દબાવવાના પ્રયાસો કરતાં અસામાજિક તત્વોને બક્ષવાના નથી તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે વધુમાં મંત્રીએ જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પીજીવીસીએલ, ખેતી, આંગણવાડીઓ વગેરેની કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં થતા કામોમાં ગુણવત્તા જળવાય, તમામ કામો સામૂહિક જવાબદારીથી થાય અને મોરબી સાથે સમગ્ર ગુજરાત જીડીપીની સાથે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પણ આગળ વધે તે માટે યોગ્ય કામગીરી કરવા તમામ અધિકારી અને કર્મચારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં કલેકટર જી.ટી. પંડ્યા, ડીડીઓ ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.