મોરબીમાં રિક્ષામાં બેઠલા રાજકોટના વૃદ્ધની નજર ચૂકવીને 1.40 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરનારા ત્રિપુટીની ધરપકડ
SHARE
મોરબીમાં રિક્ષામાં બેઠલા રાજકોટના વૃદ્ધની નજર ચૂકવીને 1.40 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરનારા ત્રિપુટીની ધરપકડ
મોરબી સરદાર રોડ વિજય ટોકીઝ પાસેથી એકાદ મહીના પહેલા વૃદ્ધને રીક્ષામાં પેસેન્જરની જેમ બેસાડયા હતા અને ત્યાર બાદ તેની નજર ચુકવી થેલામાં રાખેલ ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં એલસીબીની ટીમે હાલમાં ચોરીની આ ઘટનાને અંજામ આપનાર ત્રિપુટીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચાંદીના 1 કીલો 40 ગ્રામ વજનના 93 હજારની કિંમતના દાગીના તેમજ અન્ય મુદામાલ મળીને કુલ 1,65,500 નો મુદામાલ કબ્જે કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ ગુંદાવાડી હાથીખાના શેરી નં. 11 માં રહેતા જયસુખભાઇ બચુભાઇ લખતરીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રિક્ષાના ચાલક અને તેની સાથે રિક્ષામાં બેઠેલા ત્રણ શખ્સોની સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતુ કે, ગત તા 21/9 ના રોજ બપોરે બારેક વાગ્યાના અરસામાં તે સીએનજી રીક્ષામાં બેસી મોરબીની સોની બજારમાં જતા હતા ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં સરદાર રોડ વીજય ટોકીઝ પાસે છળની શીટમાં ફરીયાદી સાથે બેઠેલ ઇસમોએ ફરીયાદીની નજર ચુકવી તેની પાસે રહેલા થેલાની ચેન ખોલી થેલામાં રાખેલ ચાંદીના દાગીના જેનુ વજન 1 કીલો 40 ગ્રામ અને કિંમત 93 હજારનો મુદામાલ ચોરી લીધેલ હતો. અને આરોપીઓ નાશી ગયા હતા જે ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી તેવામાં એલસીબીની ટીમે ચોરાઉ મુદામાલ સાથે હાલમાં ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે અને નેત્રમ પ્રોજેકટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને બીજી બાજુ આ પ્રકારના ગુનામાં પકડાયેલા આરોપીઓને ચેક કરવામાં આવી રહ્યા હતા દરમ્યાન જે રિક્ષામાં ફરિયાદી બેઠેલ તે રિક્ષામાં પાછળની નંબર પ્લેટ ન હતી અને હુડમાં સલમાનખાન તથા હીરોઇનના ફોટા હતા તેવું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી અને આ રીક્ષામાં બેઠેલા શખસોમાં એક અજાભાઇ ભીમાભાઇ સોલંકી રહે. રાજુલા વાળો હોવાનુ સામે આવ્યું હતું અને તે અગાઉ પણ આ પ્રકારના ગુનામાં પકડાયેલ હતો અને આ આરોપીઓ રીક્ષામાં રાજકોટથી મોરબી તરફ આવનાર છે તેવી હકિકત એલસીબીના માણસોને મળેલ હતી
જેથી કરીને મોરબીના ભકિતનગર સર્કલ પાસે વોચ રાખવામા આવી હતી તેવામાં રીક્ષા નં જીજે 1 ટીએચ 3564 માંથી આ ગુનાને અંજામ આપનાર ત્રણ ઇસમો ચાંદીના દાગીના સાથે મળી આવ્યા હતા જેથી તેને પકડીને પુછપરછ કરતા પોતે ત્રણેય ઇસમો તથા અન્ય એક ઇસમે મળીને ચોરી કરી હતી તેની કબૂલાત આપી હતી જેથી કરીને પોલીસે ચોરીમાં ગયેલ 93 હજારના ચાંદીના દાગીના તેમજ રોકડા 2 હજાર રૂપીયા અને ગુનામાં વપરાયેલ રીક્ષા તથા એક મોબાઇલ ફોન મળીને કુલ 1,65,500 નો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપી અજયભાઇ ઉર્ફે અરજણ ઉર્ફે અજો ઉર્ફે બેરો ભીમાભાઇ સોલંકી (45) રહે. રાજુલા વાવેરા રોડ, તત્વ જયોતિ દેવીપુજક વાસ તાલુકો રાજુલા, જોરૂભાઇ ઉર્ફે જોકર જશુભાઇ બારીયા (26) અને રાકેશભાઇ ઉર્ફે રાવડી રમેશભાઇ સોરઠીયા (28) રહે. બંને મહુવા નુતનનગર મજુર કલ્યાણ કેન્દ્રની પાછળ તાલુકો મહુવા વાળની ધરપકડ કરેલ છે અને આરોપી તેમજ મુદામાલ એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવેલ છે. આ ગુનામાં હજુ એક આરોપી આકાશ જયંતિભાઇ સોરઠીયા રહે. મહુવા વાળાને પકડાવનો બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
શું હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી ? આરોપીઓ ઉપર કેટલા ગુના નોંધાયેલ છે ?
હાલમાં પોલીસે ચોરીના ગુનામાં જે ત્રિપુટીને પકડેલ છે તેની મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, આ શખ્સો ઓટો રીક્ષાના નંબર ન દેખાય તે સારૂ નંબર પ્લેટ ઉપર ફુલનો હાર અથવા લાઇટ ફીટ કરી દેતા હતા અથવા તો કપડુ બાંધી દેતા હતા અને શહેરી વિસ્તારમાં નિકળી એકલ-દોકલ પુરૂષોને રીક્ષામાં પાછળની શીટમાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી પેસેન્જરની નજર ચુકવી રોકડ રકમ કે દાગીનાની ચોરી લેતા હતા. અને હાલમાં જે ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે તે તે પૈકીના આરોપી અજયભાઇ ઉર્ફે અરજણ ઉર્ફે અજો ઉર્ફે બેરો ભીમાભાઇ સોલંકી સામે જુગારના બે અને ચોરીના બે ગુના નોંધાયેલ છે, આરોપી જોરૂ ઉર્ફે જોકર જશુભાઇ બારૈયા સામે દારૂના નવ અને હથિયારના ચાર આમ કુલ 13 ગુના નોંધાયેલ છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ.ભોચીયા તથા વી.એન.પરમાર અને એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કોડની ટીમે કરેલ છે.